શનિવાર, 9 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો-3


        (હવે પછીની વિગતો જિમ કૉર્બેટની અપ્રકટ નોંધમાંથી. આ નોંધપોથી ઉપલબ્ધ કરાવવા માટે અમે એમના પૌત્રભાણેજ (ગ્રાંડ્નેફ્યુ)શ્રી જ્યોર્જ માર્શલ, યુનાઇટેડ કિંગ્ડમના આભારી છીએ.)

        કુમાઊંની બહાર મેં માત્ર ત્રણ આદમખોરનો શિકાર કર્યો છે, અને ભવિષ્યમાં કદાચ એ વિશે અલગ પ્રકાશન થઇ શકે તો એ વધુ યોગ્ય રહેશે એ વિચારથી મેં અત્યાર સુધીના પુસ્તકોમાં આ શિકાર વિશે લખ્યું નથી. આમાંથી સૌથી છેલ્લે એક વાઘ મેં મધ્ય પ્રાંતોમાં રેવાની રિયાસતમાં માર્યો હતો, જ્યાં હું બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં લડનારી ટુકડીઓને  જંગલક્રાફટની તાલીમ આપી રહ્યો હતો. અહીં એ પણ નોંધી લઉં કે આ વાઘ શ્વેતવર્ણ હતો. બીજો દીપડો હતો, જેને મેં મધ્ય પ્રાંતોના નાગપુર પાસે માર્યો હતો. ત્રીજો દીપડો (અને કુમાઊંની બહાર મારો સર્વપ્રથમ આદમખોર) કાઠિયાવાડમાં હતો અને આ ત્રણેમાંથી આ પ્રાણી મને સૌથી વધુ વિચિત્ર લાગ્યું હતું. એનું કારણ આગળ આવશે.

        19‌‌—ના શિયાળાની એક બપોરે કાલાધુંગીના ઘરના વરંડામાં હું અને મેગી ચા લઇ રહ્યાં હતાં ત્યારે મને એક લાંબો ટેલિગ્રામ મળ્યો. ભાવનગરના પોલિટિકલ એજન્ટ એલેક્ઝાંડર ફ્રેઝર યુક્ત પ્રાંતના ડેપ્યુટી કમિશ્નર ડિક ફોર્ડાઇસના સહાધ્યાયી મિત્ર હતા અને મારી સાથે શિકાર કરી ચૂક્યા હતા. એમણે મારું નામ આ દીપડાને મારવા માટે સૂચવ્યું હતું,અને ભાવનગર રાજ્ય તરફથી મને શક્ય એટલી ત્વરાથી એ માટે આવવાની વિનંતી કરવામાં આવી હતી. મારે કહેવું જોઇએ કે મારી ઇચ્છા હા પાડવાની નહોતી. મોકામેહ ઘાટ પરની મારી કામગીરી પર મારે એક મહિનામાં પરત જવાનું હતું.  વળી આ પ્રદેશથી હું અપરિચિત હતો. ભાષાથી માંડીને શિકારીને મદદરૂપ થાય એવા સ્થાનિક પક્ષીઓની હાજરી સહિત અનેક વિચાર મારા મનમાં આવી ગયા, પણ ટેલિગ્રામમાં જે રીતનું લખાણ હતું, એણે ના કહેવાનું અશક્ય બનાવી દીધું. મેગી સાથે ચર્ચા કરીને મેં  બીજા દિવસે મારી સંમતિનો ટેલિગ્રામ કરી દીધો.

        કાલાધુંગીથી નીકળીને હું ચોથા દિવસે બપોરે ભાવનગર પહોંચ્યો. રેલવે સ્ટેશન પર મને લેવા માટે રાજ્યની ગાડી આવી હતી.  તે રાતનું ભોજન મેં દીવાન સાથે લીધું. ભોજન બાદ મને મારી જરૂરિયાતો વિશે પૂછવામાં આવ્યું. મારી પાસે જરૂરી સાધનસામગ્રી હતી જ; પણ સ્થાનિક પ્રાકૃતિક વાતાવરણથી વાકેફ અને શિકારનો અનુભવ ધરાવતા માણસની મને જરૂર લાગી. અલબત્ત, એને હિંદુસ્તાની આવડતી હોય એ પણ જરૂરી હતું.

        બીજા દિવસે એક યુવાન મને મળવા આવ્યો. એને સૂચના હતી કે એણે મારા મદદનીશ તરીકે રહેવાનું હતું. એનું નામ જોરાવરસિંહ હતું. જોરાવરના ચહેરા પર ઉત્સાહની છાપ દેખાતી હતી. હિંદુસ્તાની ઉપરાંત એ બટલર ઈંગ્લિશ પણ બોલી લેતો હતો. એનો મોટો ગુણ એ હતો કે જરૂર વગર એ ચૂપ રહેતો. જંગલમાં અને જીવનમાં પણ આવા સાથી ઉપયોગી બનતા હોય છે.

        જોરાવર પાસેથી મેં દીપડા વિશે, સ્થાનિક ભૂપૃષ્ઠ વિશે, તેમ જ દીપડો જ્યાં શિકાર કરતો હતો તે પ્રદેશ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. એની પાસેથી ખાસ નવી માહિતી ન મળવા છતાં, એના જવાબોથી મને સંતોષ થયો. આ વાતચીતના અંતે હું નીચે મુજબના નિર્ણય પર આવ્યો:


1.    દીપડાને ઘેટાં-બકરાં જેવા મારણમાં રસ ના હોવાનું જણાતું હતું. પણ તે છતાં, મેં ત્રણ- ચાર બકરીને અલગ અલગ  જગ્યાએ  મારણ તરીકે બાંધવાનું નક્કી કર્યું; કારણ કે દીપડો ફરી કોઇ માનવશિકાર કરે તેની રાહ જોઇને બેસી રહેવાનો અર્થ નહોતો. દીપડાને ઓળખવાની કોઇ એંધાણી ના હોઇ, હાલ પૂરતું તો દરેક દીપડાને શંકાસ્પદ ગણવાનું રાખવું.


        2. ભાવનગરથી આશરે 15 માઇલના અંતરે આવેલા સિહોરમાં મુકામ રાખવાનું મેં નક્કી કર્યું. 

     
        એ મુજબ, બીજા દિવસે સવારે હું ભાવનગરથી સિહોર પહોંચી ગયો, અને લોકોના વિરોધ છતાં, મેં ગૌતમી નદીના કાંઠે એક ખુલ્લી જગ્યા પર મારો તંબુ નાખ્યો. મને આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું કે ચા સિવાયની કોઇ પણ વસ્તુ મારે બનાવવાની નથી, રોજ મારા માટે ભોજન આવી જશે. આવી મહેમાનગતિને ખાળવી સહેલી તો નહોતી જ, પણ કેટલાક વ્યવહારુ કારણોસર મેં એ વાતની ના પાડી. લોકો નિરાશ થયા, પણ એમણે એ સ્વીકારી લીધું. મેં જોયું કે મારા વહાલા પહાડી લોકોની અને આ સુદૂર પશ્ચિમમાં વસતા લોકોની માનસિકતામાં અજબ સામ્ય હતું!

        પણ સિહોરની આસપાસનું જંગલ! જો એને જંગલ કહી શકાય તો- એ એકદમ જુદું હતું. અહીં નીચાં, કાંટાળા જાળાં હતાં; જેમની ગીચતા જોઇને મને ક્યાંક ક્યાંક અમારા પહાડોમાં થતી રિંગલ વાંસની અને લેન્ટાનાની ગીચોગીચ ઝાડી યાદ આવી જતી. પણ એકંદરે આ વનરાજી મને ઘણી જ ઝાંખી-પાંખી લાગી. ટેકરીઓ, કાંટાવાળાં જાળાં અને પથ્થરો. વચ્ચે વચ્ચે જે વૃક્ષો હતાં તે મને ભવિષ્યમાં આફ્રિકાનાં ભૂદૃશ્યો જોઉં ત્યારે યાદ આવવાનાં હતાં.

        અહીંની પક્ષીસૃષ્ટિ પણ ઘણી અલગ હતી. છતાં મને એવાં પક્ષી મળ્યાં જેમની ચેતવણી પર આધાર રાખી શકાય.  લાફિંગ-થ્રશની જગ્યાએ બેબ્લર્સ (લલેડાં), મેગપાઇની જગ્યાએ ટ્રી-પાઈ (ખેરખટ્ટા), કલીજ વનમોરની જગ્યાએ મોર; અને બુલબુલ, કાબર વગેરે તો ખરાં જ.

        સિહોરમાં મારા પહેલા દિવસે આમ આસપાસ ફરાય એટલું ફરીને મેં ભૂપૃષ્ઠ અને સજીવસૃષ્ટિનો પરિચય મેળવ્યો. જોરાવરને મેં બકરીઓ ખરીદવાનું કામ સોંપ્યું હતું જે એણે સાંજ સુધીમાં પતાવ્યું; અને પહેલી રાત મેં કેમ્પમાં આવી ચડેલા બે સ્થાનિક પાઇ કૂતરા, બકરીઓ, અને જોરાવર સાથે કોઇ ખલેલ વગર પસાર કરી.

        દીપડાએ છેલ્લો માનવશિકાર કર્યાને પાંચ દિવસ થઇ ગયા હતા. મેં તારણ કાઢ્યું હતું કે એના દરેક માનવ શિકાર વચ્ચે આશરે પાંચથી બાર દિવસનો ગાળો રહેતો હતો. આનો અર્થ એ કે આ દીપડો માત્ર માનવશિકાર પર આધાર નહોતો રાખતો. હવે એ સમય નજીક હતો કે પોતાની ભૂખ સંતોષવા એ ક્યાંક ત્રાટકે. મને આશા હતી કે એ કોઇ માણસને ખાવાના બદલે મારી બકરીનું મારણ કરી મને એને મારવાનો મોકો આપશે.

        એક વાત તો હતી. દીપડો હિમાલયનો હોય કે કાઠિયાવાડનો; જો કોઇ ભેદ હોય તો એ માત્ર એના નિવાસસ્થાનમાં હતો. દીપડાની ચતુરાઇ, માણસો વિશેનો એનો ડર, એની ખાનપાનની આદતો- આ બધું તો બધે જ સર્વસામાન્ય હતું.

        હિમાલયમાં મેં ક્યારેક પાલતુ પશુઓને રંજાડતા દીપડાને દિવસે મારેલા છે. સવારની ઠંડીમાં પોતાને ગમતા સ્થાન પર તડકો ખાતાં બેસવું એને ગમતું હોય છે. વહેલી સવારે એ ત્યાં પહોંચે એ પહેલાં એ ખડક કે કરાડની આસપાસ કોઇ અનુકુળ સ્થળ હોય તો- અલબત્ત, જરા ઊંચાણે- ત્યાં શિકારીએ છૂપાઇ રહેવાનું. કહેવાની ભાગ્યે જ જરૂર હોય, કે આ રીતમાં શિકારીની આવડતની પૂરી કસોટી થાય છે. દીપડા જેવા ચાલાક અને શંકાશીલ પ્રાણીને ખબર ન પડે એ રીતે ત્યાં પહોંચવા અને બેસવા માટે- કારણ કે આવાં સ્થાનો સામાન્ય રીતે એના નિવાસસ્થાનથી ખાસ દૂર હોતા નથી- શિકારી જંગલક્રાફ્ટ  પર સારું પ્રભુત્વ ધરાવતો હોય એ જરૂરી છે.

        અહીં અલબત્ત હિમાલય જેટલી ઠંડી નહોતી,પણ શિયાળો હોઇ ઠંડકનો માહૌલ તો હતો જ. દીપડાએ મારણ  કર્યાના ચોક્કસ ખબર ના મળે કે દીપડો બેઇટ પર ન આવે ત્યાં સુધી મેં આસપાસની ટેકરીઓ પર ફરીને આ રીતે દીપડાને શોધવાનું નક્કી કર્યું. સવારના સમયે આ રીતે ડુંગરા અને કાંટમાં ફરવાનું, સમય રહે તો આસપાસનાં ગામની મુલાકાત લેવી, અને દિવસ નમતો હોય ત્યારે બેઇટ બાંધવાનું કામ કરવું- આ મારું સમયપત્રક બની ગયું.

(ક્રમશ: )


2 ટિપ્પણીઓ: